મેજર ધ્યાનચંદ: હોકીના જાદુગર અને રાષ્ટ્રીય રમત દિવસનું પ્રતિક
૨૯ ઓગસ્ટ, ૧૯૦૫ના રોજ પ્રયાગરાજની ધરતી પર એક એવો તેજસ્વી તારાનો જન્મ થયો, જેમણે પોતાના કૌશલ્ય અને કળા વડે સમગ્ર વિશ્વને મંત્રમુગ્ધ કરી દીધું – આ તારાનું નામ છે મેજર ધ્યાનચંદ. હોકીના મેદાન પર તેઓ બોલને જાણે ચુંબક જેવો આકર્ષણ આપતા. તેમની સ્ટિકમાંથી નીકળતો દરેક દાવ કળાત્મકતા, કુશળતા અને જાદુનો અહેસાસ કરાવતો. એટલા માટે જ વિશ્વ તેમને “હોકીના જાદુગર” તરીકે ઓળખે છે.
ધ્યાનચંદ માત્ર એક ખેલાડી જ નહોતા, પરંતુ તેઓ રાષ્ટ્રપ્રેમી, સ્વાભિમાની અને સાહસિક વ્યક્તિત્વના પ્રતિક પણ હતા. તેમની રમતમાં શિસ્ત, સહનશીલતા અને નૈતિક મૂલ્યોનો સંગમ જોવા મળતો. તેઓ ક્યારેય નામ, દામ કે લાલચ માટે ઝુક્યા નહીં. આ વાતનો સાક્ષી એ પ્રસિદ્ધ સંવાદ છે – જ્યારે જર્મન શાસક હિટલરે તેમને પુછ્યું કે “જ્યારે તમે હોકી નથી રમતા, ત્યારે શું કરો છો?” ત્યારે ધ્યાનચંદે ગર્વથી ઉત્તર આપ્યો કે “હું ભારતીય સેનામાં છું.” હિટલરે તેમને જર્મનીમાં શ્રેષ્ઠ પદ આપવાની ઓફર કરી, પરંતુ ધ્યાનચંદે વિનમ્રતાપૂર્વક કહ્યું – “ભારત મારો દેશ છે અને હું અહીં સુખી છું.” આ જવાબમાંથી સાબિત થાય છે કે સાચો રત્ન તે જ છે, જે રાષ્ટ્રને સર્વોપરી ગણે છે.
શાસ્ત્રોમાં પણ કહેવાયું છે:
“जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी।”
અર્થાત્, માતા અને માતૃભૂમિનું સ્થાન સ્વર્ગ કરતાં પણ મહાન છે. મેજર ધ્યાનચંદે આ વિચારને પોતાની જિંદગીથી સાકાર કર્યો.
હોકીના મેદાનમાં તેમણે ભારતને અનેક વિજય અપાવ્યા. એમની આગેવાની હેઠળ ભારતે ઓલિમ્પિકમાં અદ્વિતીય સિદ્ધિઓ પ્રાપ્ત કરી. તેમની રમત એટલી અદભુત હતી કે પ્રેક્ષકો બોલ ક્યાં ગયો તે સમજી પણ ન શકતા. જર્મન મેદાન હોય કે એમ્સ્ટરડેમનું, એમની સ્ટિકમાંથી ફૂટતું કૌશલ્ય હંમેશા ઈતિહાસમાં અક્ષય રહી ગયું.
આજે જ્યારે આપણે ૨૯ ઓગસ્ટે રાષ્ટ્રીય રમત દિવસ ઉજવીએ છીએ, ત્યારે તે માત્ર એક ઉજવણી નથી, પરંતુ રાષ્ટ્રગૌરવને યાદ કરવાનું પવિત્ર અવસર છે. આપણા માટે આ દિવસ એ સંદેશ લાવે છે કે રમત માત્ર મનોરંજન કે વિજય-પરાજયની સ્પર્ધા નથી, પરંતુ રાષ્ટ્રીય ચેતના, આત્મગૌરવ અને સ્વાભિમાનની પ્રેરણા છે.
હોકી આપણી રાષ્ટ્રીય રમત છે, છતાં આજના યુગમાં ક્રિકેટના પ્રભાવ વચ્ચે હોકી પાછળ પડી ગઈ છે. પરંતુ રાષ્ટ્રીય રમત દિવસ અમને યાદ અપાવે છે કે મેજર ધ્યાનચંદ જેવા મહાન ખેલાડીઓના ત્યાગ અને મહેનતને ક્યારેય ભૂલવી નહીં. જો આપણે રાષ્ટ્રપ્રેમને જીવંત રાખવો હોય તો હોકીને યોગ્ય સ્થાન આપવું પડશે.
અંતમાં, મેજર ધ્યાનચંદના જીવનમાંથી આપણે શીખીએ છીએ કે –
- સ્વાર્થ અને લાલચને ત્યજીને રાષ્ટ્રને સર્વોપરી માનવું.
- સ્વાભિમાન સાથે જીવન જીવવું.
- કૌશલ્ય અને મહેનત વડે વિશ્વને પ્રભાવિત કરવું.
ચાલો, આ રાષ્ટ્રીય રમત દિવસે આપણે પ્રતિજ્ઞા કરીએ કે હોકી સહિત તમામ રમતોમાં ભારતને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવીએ, અને મેજર ધ્યાનચંદના સંદેશને જીવનમાં ઉતારીને સ્વાભિમાનભેર આગળ વધીએ.
“મેજર ધ્યાનચંદનું જીવન આપણને શીખવે છે કે સાચો વિજય માત્ર મેદાનમાં નહીં પરંતુ રાષ્ટ્રપ્રતિ નિષ્ઠામાં છે. રાષ્ટ્રીય રમત દિવસ પર આપણે હોકીની મહિમાને યાદ કરીએ, ખેલાડીઓને પ્રોત્સાહન આપીએ અને રાષ્ટ્રગૌરવ વધારીએ. સ્વાભિમાન, શિસ્ત અને દેશપ્રેમ સાથે જ જીવનનું સાચું ક્રીડામૂલ્ય સિદ્ધ થાય છે.”
STORY BY : NIRAJ DESAI