ભગવાન શિવ… જે ભોલેનાથ છે, નટરાજ છે, ત્ર્યંબક છે… જે ક્ષમાનું સાગર છે અને તપનું પરમ શિખર છે — એવા મહાદેવના તીર્થો ગુજરાતની પવિત્ર ધરતી પર શિરમોર બનીને ઉભાં છે. અહીં શિવભક્તિ માત્ર ધૂપ, દીવો અને ઘંટારાવ પૂરતી નથી; તે એક જીવંત ધર્મસંસ્કૃતિ છે — જે લોકહૃદયમાં શ્વાસે-શ્વાસે વસે છે.
1. સોમનાથ (ગિર સોમનાથ) – ભક્તિની અડગ શિલા
સૌરાષ્ટ્રના સૌમ્ય તટે, જ્યાં અરબી સમુદ્રની લહેરો શ્રાવણ ગીતો ગાય છે, ત્યાં સોમનાથ મહાદેવ ભક્તો પર અમૃત દ્રષ્ટિ વરસાવે છે. ચંદ્રદેવે શિવની તપસ્યા કરી અહિયાંથી શાપમુક્તિ પામી હતી. અનેક વિધ્વંસ પછી પણ આ મંદિર ફરી ફરી ઊભું થતું ગયું – કારણકે આ મંદિર પથ્થરમાં નહીં, ભક્તિમાં ગોઠવાયેલું છે. સરદાર પટેલની ઐક્યદ્રષ્ટિએ તેના નવનિર્માણમાં શ્રદ્ધાનું જ્યોત પ્રગટાવ્યું.
2. નાગેશ્વર જ્યોતિર્લિંગ (દ્વારકા) – શિવનું નાગરૂપ જ્યોતિર્મય
દ્વારકા નજીક, જ્યાં કુંભજલ જેવી શાંતિ વહે છે, ત્યાં નાગેશ્વર જ્યોતિર્લિંગ શિવના ભયનાશક રૂપને દર્શાવે છે. કહેવાય છે કે અહીં દારુકાવન નામના અસુરનો સંહાર કરી શિવએ વિશ્વને ભયમુક્ત કર્યું હતું. ભક્તો અહીં શિર નમાવી અંધકારમાંથી પ્રકાશ તરફ પ્રયાણ કરે છે.
3. ભવનાથ મહાદેવ (જૂનાગઢ)– તપસ્વી પરંપરાનું પ્રવાહમાન ધામ
ગિરનાર પર્વતની તળેટીમાં વસેલું ભવનાથ મહાદેવ મંદિર એ માત્ર એક દેવસ્થાન નથી – તે તો તપસ્યાની ધૂણી છે, જ્યાં નાગા સાધુઓ શિવતત્ત્વમાં લીન થઈને પરમ શાંતિ પામે છે.મહાશિવરાત્રીના મેળામાં ભક્તિ, વિસ્મય અને વૈરાગ્ય એકસાથે ઝળહળી ઊઠે છે. ભવનાથ કુંડનું એક ટીપું પણ ભક્તોના મનમાંથી કલુષતા ધોઈ નાખે તેવો શ્રદ્ધાનો પ્રવાહ છે.
4. કોટેશ્વર મહાદેવ (લખપત તાલુકો, કચ્છ)
મંદિરના પાછળ સીધો અરબ સાગર દેખાય છે — અને તરંગોની અવાજ મંદિરના શાંતિમય વાતાવરણ સાથે ભળી જાય છે. મંદિરનું ભૌગોલિક સ્થાન એવા તબક્કે છે જ્યાં કોઈ પણ દિશામાં ભગવાન શિવ દ્રષ્ટિ આપે છે એવું માનવામાં આવે છે. ઈતિહાસકારો કહે છે કે આ મંદિર મોર્ય કે પછીના ગુર્જર પ્રદેશના સમયમાં મહત્વ પામતું હતું.મુસ્લિમ આક્રમણો દરમિયાન મંદિરને નુકસાન થયું હતું, પણ પાછું પુનઃનિર્માણ થયો.
5. હૂતકેશ્વર મહાદેવ (સિદ્ધપુર, પાટણ જિલ્લાના નજીક)
આ મંદિર ભગવાન શિવના “હૂતકેશ્વર” સ્વરૂપને સમર્પિત છે.“હૂત” શબ્દનો અર્થ છે “હવન અથવા યજ્ઞ” અને “ઈશ્વર” એટલે ભગવાન – એટલે કે યજ્ઞોનું સ્વીકાર કરનાર ભગવાન. મંદિરનો ઈતિહાસ સોલંકી કાળ (11મી–12મી સદી) સુધી જાય છે.નાગર બ્રાહ્મણો માટે આ મંદિર ખાસ મહત્વ ધરાવે છે – તેઓ અહીં પિતૃ શ્રાદ્ધવિધિ માટે આવે છે.
ગુજરાતના દરેક ગામમાં, પવનમાં, પથ્થરમાં શિવજીની ઉપસ્થિતિ અનુભવી શકાય છે. કોઇએ નદી કાંઠે “રામેશ્વર મહાદેવ” સ્થાપ્યો છે તો કોઇએ વણજારમાં “સિદ્ધેશ્વર” સ્ફુરાવ્યો છે. વડનગરના હાટકેશ્વરથી લઈને પાટણના મહાદેવ સુધી – દરેક મંદિર, દરશનથી વધુ એક અનુભવ છે.
પરમશિવતત્વની અનુભૂતિ
ભગવાન શિવ ગુજરાતની ભાવભીની ધરતી પર ભક્તિરૂપે વર્તે છે. એ આપત્તિમાં આશ્રય છે, તપમાં તૃપ્તિ છે, લોકમેળામાં સાકાર છે અને મૌન ધ્યાનમાં નિરાકાર છે.
જ્યાં શબ્દ શિવપથે ચાલે છે, ભાવ પરમાત્મા તરફ ઊડે છે, અને ભક્ત પથ્થર જેવી હૃદય ભૂમિ પર શિવસ્વરૂપ ઊભું કરે છે.
STORY BY: NIRAJ DESAI